Saturday, March 5, 2011

ઘરમાં વસાવી રાખવા લાયક ચૂર્ણો

૧) દેવદાર ઃ પરસેવો ન વળતો હોય, મૂત્ર અટકી ગયું હોય અને સોજા ચઢતાં હોય, તાવ, માંદગી પછી અશક્તિ જણાતી હોય તો દૂધ અને સાકર સાથે દિવસમાં બે વખત.

૨) નગોડ ઃ રાંઝણ (સાયટિકા), કમર-સાંધાના દુઃખાવામાં દિવેલ સાથે, બરોળવૃધ્ધિ અને ક્ષયરોગમાં હુંફાળા પાણી સાથે.


૩) બીલીફળ ઃ ઝાડામાં લોહી પડતું હોય તો જેઠીમધ સાથે, બાળકોના ઝાડામાં છાશ સાથે, જૂના મરડામાં દહીં અને ભાત સાથે ચોળીને દિવસમાં બે વખત ન રૃઝાતા ધારા કે ચાંદા પર ગુલાબજળમાં વાટીને લેપ કરવો.


૪) મરી (બે દાણાથી વધુ ઉપયોગ ન કરવો) ઃ જૂના મરડામાં છાશ સાથે, સર્વપ્રકારની ખાંસી પર ઘી અને સાકર મેળવી ચાટવું. અવાજ બેસી ગયો હોય, ગળું દુઃખતું હોય, કાકડા સૂજી ગયા હોય તો નમક, હળદર અને લીંબુના રસ સાથે મેળવી ચાટવું. વધારે પડતો ભારે (તેલ-ઘી યુક્ત) ખોરાક ખાધા પછીના આફરા પર લીંબુના રસ સાથે.


૫) મીંઢળ (માત્ર બાહ્ય પ્રયોગ માટે. મોં વાટે લેવાથી ઉલટી થાય) ઃ ન મટતાં પેટના દુઃખાવામાં મીંઢળનું ફળ ઘસી ડૂંટીમાં લગાવવું. ગુલાબજળમાં વાટી ચહેરા પર લેપ કરવાથી ચામડી સુંવાળી થઈ ચમક વધે છે.


૬) લોધર ઃ સ્ત્રીઓની સમસ્યા જેમ કે શરીર ધોવાવું કે સફેદ પાણી પડવું (White discharge)માં સવાર-સાંજ ચોખાના ઓસામણ સાથે લાંબો સમય લેવું.


૭) વાવડીંગ ઃ બાળકોને પેટમાં થતાં કૃમિ માટે મધ સાથે.


૮) અરડૂસી ઃ સાકર અને ઘી સાથે ચાટવાથી મસામાંથી પડતું લોહી અટકે છે. સતત આવતી ઉધરસમાં સૂંઠના ઉકાળેલા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત. છાતીમાં ભરાયેલા કફને કાઢવા સૂંઠ, સંચળ અને મધ સાથે દિવસમાં બે વખત.


૯) વિદારીકંદ (ભોંયકોળું) ઃ વજન ના વધતું હોય તો સાકર, દૂધ અને ઘી સાથે, ધાવણ ઓછું આવતું હોય તો દૂધ સાથે.


૧૦) સૂંઠ ઃ શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા, સોજા, અપચો, શીળસ, સંગ્રહણી, આમવાત જેવાં રોગોમાં અતિઉપયોગી એવી મૂલ્યવાન ઔષધિ. શરીરનું બળ વધારવા માટે અજોડ તથા સુવાવડ પછી ગર્ભાશયની શુધ્ધિ માટે સળંગ એક મહિના સુધી સેવન કરવું. એક પ્યાલા પાણીમાં આશરે ત્રણ ચપટી સૂંઠ આવે એ માપથી ઉકાળી, ગાળીને ઉપયોગમાં લેવું.


૧૧) હિંગ ઃ શરીરના કોઈપણ ભાગમાં દુઃખાવો થતો હોય તો સરખી માત્રામાં સંચળ મેળવી આ મિશ્રણ ખૂબ ઓછી માત્રામાં (એક ચપટીથી વધુ નહિ) દિવસમાં એકાદ વખત લેવું. પેટની ચૂંકમાં ડૂંટીમાં ભરવી. છાતીમાં ભરાયેલો કફ કાઢવા સંચળ સાથે ખદખદાવી લેપ કરવો. આ ઉપરાંત પેટના કૃમિ (worms)રાંઝણ, પક્ષઘાત (Paralysis), ઓછા માસિકની સમસ્યામાં, ગભરામણ, બેચેની, અપચાનો હિંગ એ રામબાણ ઈલાજ છે.


૧૨) પીપળાની છાલ ઃ ભગંદર, હરસ, પગના ચીરા, વાઢિયા પર છાલનું ચૂર્ણ એરંડિયાના તેલ સાથે મેળવી લગાવવું.


૧૩) અર્જુન છાલ ઃ તૂટી ગયેલું હાડકું સંધાતુ ન હોય અથવા નબળાં પડી ગયેલાં હાડકામાં વારંવાર ફ્રેક્ચર થતાં હોય તો એક ચમચી ચૂર્ણ સારી પેઠે ઉકાળીને લેવું. પેશાબમાં પરૃ જતું હોય તો ઠંડા પાણી સાથે, ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા કાચા દૂધમાં હળદર સાથે સરખા ભાગે ઉમેરી લેપ કરવો.


૧૪) નિર્મળી ઃ પથરીમાં નિર્મળીથી પકાવેલું ઘી ખાવું. ઉન્માદ (Hysteria)માં પથ્થર પર ઘસી નાકમાં ટીપાં પાડવા. રોજીંદુ પીવાનું પાણી શુધ્ધ કરવા ચૂર્ણની પોટલી બનાવી પાણીના પાત્રમાં રાખવી.


૧૫) જાસૂદના ફૂલ ઃ તલના તેલમાં ઉકાળી તેલ કરી રાખવું. માથામાં આ તેલની માલિશ કરવાથી ઊંદરી, ખોડો, ખરતાં વાળ જેવી સમસ્યામાં લાભ થાય છે.


૧૬) જાંબુના પાન ઃ ઠંડા પાણીમાં સાકર અને નમક સાથે મેળવી લેવાથી કડવી અને ખાટી ઊલટી મટે છે.


૧૭) ગુલાબપત્તી ઃ સાકર સાથે મેળવી તડકે મૂકી ગુલકંદ બનાવી લેવું. જરૃર મુજબ એલચી, દાણા, કાળી દ્રાક્ષ અને કેસર મેળવી દેવું. (તડકે મૂકીને બનાવેલું ગુલકંદ ગેસ પર ગરમ કરી બનાવેલા ગુલકંદ કરતાં વધુ ગુણકારી છે.) આ ગુલકંદના સેવનથી કબજિયાત, આંતરડાની ગરમી, એસિટિડી, આંખોની નબળાઈ, હથેળી અને પગના તળિયાની બળતરામાં ફાયદો થાય છે.


૧૮) તુલસી ઃ શરદી, સાયનસ, જૂનો તાવ, મેલેરિયામાં મરી, પીપર, સૂંઠ અને ફુદિના સાથે પાણીમાં ઉકાળીને લેવાથી રાહત થાય. જંતુઘ્ન હોવાથી ઇન્ફેક્શનમાં તાજાં પાનનો રસ કાઢીને પીવો.


૧૯) કમલપત્ર ચૂર્ણ ઃ વારંવાર ગર્ભપાત થતો હોય તો સાકર સાથે સમભાગે મેળવી ઠંડા પાણી સાથે લેવું.

- વિસ્મય ઠાકર

No comments: